કોરોનાને અઠવાડિયા સુધી થપ્પો રમાડશે ગુજરાત ,18 મે સુધી રાત્રિ કરફ્યુ

  • તા.12 મે થી તા.18 મે સુધી દરરોજ રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ
  • આવશ્યક ચીજ વસ્તુઓ માટેની દુકાનો ખુલ્લી રહેશે.
  • તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ ચાલુ રહેશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં કોરોના કેસોના નિયંત્રણમાં પ્રજાના સહયોગથી મળેલી સફળતા અંગે લંબાણપૂર્વક ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી.
આ બેઠકમાં મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે,

રાજ્યના નાગરિકો, આરોગ્ય જગતના તબીબો સૌના સહયોગ અને સહિયારા પ્રયાસોને પરિણામે ગુજરાતે કોરોના સંક્રમણ નિયંત્રણમાં કેસોના ઘટાડાની સફળતા મેળવી છે.તેમણે આ સંદર્ભમાં ઉમેર્યુ કે, 27 એપ્રિલે રાજ્યમાં 14,500 જેટલા કોરોના કેસ હતા તે હવે ઘટીને ગઇકાલે 11,000 જેટલા થઇ ગયા છે.

કોર કમિટિની આ મહત્વપૂર્ણ બેઠકમાં રાજ્યમાં હાલ 36 શહેરોમાં રાત્રિ કરફયું સહિતના રાજ્યમાં જે નિયંત્રણો ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભમાં લાગુ કરવામાં આવ્યા છે તે અંગે પણ ગહન ચર્ચા-વિચારણા હાથ ધરાઇ હતી
મુખ્યમંત્રીએ આ અંગે જણાવ્યું કે,

ગુજરાતમાં કોરોનાનાં કેસો વધ્યા નથી પરંતુ સમગ્ર દેશમાં કોરોના સંક્રમણની વ્યાપકતા ધ્યાનમાં લઇને ગુજરાત સરકારે રાજ્યના સૌ નાગરિકોને સલામત-સુરક્ષિત રાખવા તેમજ ઓછામાં ઓછી તકલીફ પડે તેવી હમદર્દી સાથે રાત્રિ કરફયુ અને વધારાના મર્યાદિત નિયંત્રણો વધુ એક સપ્તાહ માટે યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે.

કોર કમિટિની બેઠકના આ નિર્ણય અનુસાર રાજ્યના 8 મહાનગરો સહિત જે 36 શહેરોમાં રાત્રિ કરફયુ તા.11 મે-2021 સુધી રાખવામાં આવેલો તે તા.12 મે-2021 થી તા.18 મે-2021 એમ સાત દિવસ માટે દરરોજ રાત્રિના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મુખ્યમંત્રીએ રાજ્યના નાના મોટા વેપારી, ઉદ્યોગો તથા જનતા જનાર્દને રાજ્યમાં કોરોના સંક્રમણ અટકાવવાનાં હેતુથી રાત્રિ કરફયુ સહિતના વધારાના નિયંત્રણોના અમલમાં આપેલા સહયોગ અંગે આભારની લાગણી વ્યકત કરી હતી.

(સાભાર : દિ.ગ , માહિતી ખાતું )

  • રાત્રિ કરફ્યુમાં શું ચાલુ રહેશે ને બંધ? એ માટેની જૂની ગાઈડલાઇન પ્રમાણે ચાલવું.

અગાઉની ગાઈડલાઇન


મુખ્યમંત્રીએ કરુણા દાખવી : ગુજરાતના 36 શહેરોમાં વધારાના નિયંત્રણો


Related posts

Leave a Comment