ગુજરાત યુનિવર્સિટીનાં સંસ્કૃતવિભાગમાં મુસ્લિમ વિદ્યાર્થિનીએ રચ્યો ઈતિહાસ

salma qureshi gujarat
  • મુસ્લિમ વિદ્યાર્થિની કુરેશી સલમાએ સંસ્કૃતમાં Ph.D. કરીને સંસ્કૃતનું ગૌરવ વધાર્યું
  • યુનિવર્સિટીનાં સંસ્કૃત-વિભાગમાંથી વિદ્યાર્થિનીએ ‘पुराणेषु निरूपिता शिक्षापद्धतिः एकम् अध्ययनम्’ આ વિષય ઉપર કર્યું Ph.D.

ગુજરાત: તાજેતરમાં જ તારીખ 01 ડિસેમ્બર 2020નાં રોજ ગુજરાત યુનિવર્સિટીએ કુરેશી સલમાબેન કેશુભાઈને ગુજરાત યુનિવર્સિટીએ સંસ્કૃત વિષયમાં Ph.D.ની પદવી એનાયત કરી છે. યુનિવર્સિટીનાં સંસ્કૃત-વિભાગમાંથી વિદ્યાર્થિની કુરેશી સલમાબેન કેશુભાઈએ ‘पुराणेषु निरूपिता शिक्षापद्धतिः एकम् अध्ययनम्’ આ વિષય ઉપર સંસ્કૃત વિભાગનાં અધ્યાપક ડૉ. અતુલભાઈ ઉનાગરનાં માર્ગદર્શનમાં Ph.D. સંપન્ન કર્યું.

એક બાજુ દિવસેને દિવસે ભાષાઓની જનની અને સૌથી પ્રાચીન ભારતીય ભાષા સંસ્કૃતનું મહત્વ ઘટતું જાય છે ત્યારે બીજી તરફ સંસ્કૃતનું મહત્વ સમજીને અમરેલીની મુસ્લિમ વિદ્યાર્થિનીએ સંસ્કૃત વિષયને જીવનનું મહત્ત્વપૂર્ણ કાર્ય સમજીને સંસ્કૃતમાં Ph.D. સુધીના અભ્યાસ કરવાનું પસંદ કર્યું. અમરેલી જિલ્લાનાં લીલીયા તાલુકાનાં ઈગોરાળા ગામની સામાન્ય પરિવારમાં જન્મેલી સલમાએ સંસ્કૃતમાં રહેલા જ્ઞાનને પ્રાધાન્ય આપીને તેના સઘન અભ્યાસ માટે ગામ છોડીને સમરસ હોસ્ટેલમાં રહીને વિજ્ઞાનભાષા સંસ્કૃતમાં અધ્યયન કરવાનું પસંદ કર્યું.salma qureshi gujarat

તાજેતરમાં જ પદ્મભૂષણ ડૉ. કસ્તુરી રંગનની અધ્યક્ષતામાં તૈયાર થયેલી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં 22 વખત સંસ્કૃતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ રાષ્ટ્રીય નીતિના ડ્રાફ્ટમાં ભારતીય પ્રાચીન શિક્ષણને ખૂબ જ મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. આ જ ક્ષેત્રમાં કુરેશી સલમાએ પુરાણોને આધાર બનાવીને શિક્ષણના મૂળ સિદ્ધાંતો અને મૂલ્યોને શોધીને તેનું વર્તમાન સમયમાં અનુશીલન કર્યું છે. જો આ સમયમાં પુરાણોમાં નિરૂપિત શિક્ષણ પદ્ધતિ લાગું કરવામાં આવે તો ભારતમાં કેવાં કેવાં પરિવર્તનો આવી શકે છે તેનાં તારણો પ્રકાશિત કર્યા છે.

કુરેશી સલમા દ્વારા સંશોધિત પૌરાણિક શિક્ષણનાં તથ્યોને ભારત સરકારની રાષ્ટ્રીય શિક્ષણ નીતિને વધારે ઉપકાર સાબિત થશે. વર્તમાન સમયમાં અને આવનાર પેઢીને આપણા મહર્ષિઓ દ્વારા સંશોધિત અને પ્રસ્થાપિત કરેલા સિદ્ધાંતો કેવી રીતે ઉપકારક સાબિત થઈ શકે તેવું શ્રેષ્ઠ કાર્ય કુરેશી સલમાએ કર્યું છે. આ કાર્ય દ્વારા સાચા અર્થમાં કેળવણી અને ઘડતર તરફ એક દિશા નિર્દેશ મળી રહેશે તેમાં શંકાને સ્થાન નથી. આ સંશોધન ગુજરાતનાં જ નહીં પણ દેશના શિક્ષણવિદો, શિક્ષકો, આચાર્યો અને શાળા સંચાલકોને સહાયરૂપ સાબિત થશે.

salma qureshi gujarat

આજે સૌથી મોટી એ ભ્રમણા ઉભી થઈ ગઈ છે કે સંસ્કૃત ફક્ત બ્રાહ્મણોની જ ભાષા છે. આ ભ્રમણા રાષ્ટ્ર વિરોધી તત્ત્વો દ્વારા ઊભું કરવામાં આવેલું એક સમજી વિચારેલું યોજના પૂર્વકનું ષડયંત્ર છે. સંસ્કૃત કોઈ ધર્મ, સંપ્રદાય કે કોઈ વિશેષ વર્ગની ભાષા નથી. સંસ્કૃત પ્રાચીન સમયમાં સૌની હતી અને આજે પણ સંસ્કૃત ભાષા સૌની છે એ મુસ્લિમ વિદ્યાર્થિની કુરેશી સલમાએ સંસ્કૃત માધ્યમમાં Ph.D. કરીને સાબિત કરી બતાવ્યું છે. આજનાં યુવાનો ફરીથી સંસ્કૃત તરફ આકર્ષિત થાય તે માટે કુરેશી સલમા જેવા વિદ્યાર્થીઓએ એ પણ સાબિત કરી બતાવ્યું છે કે આજે પણ સંસ્કૃતની ઉપયોગીતા એટલી જ છે જે યુગો પહેલા હતી.

ગુજરાત યુનિવર્સિટી આવા અનોખા અને મહત્વપૂર્ણ કામ માટે હંમેશા અગ્રેસર રહી છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા તત્કાલીન ગૃહપ્રધાન માનનીય શ્રી રાજનાથસિંહ દ્વારા 2018માં સેન્ટર ફોર સ્પોકન સંસ્કૃતની સ્થાપના કરવામાં આવી છે. સંસ્કૃત વિકાસનાં આ જ ક્રમમાં આ વર્ષે પ્રવર્તમાન કુલપતિ પ્રો. હિમાંશુ પંડ્યાએ મહર્ષિ પાણિનિ સંસ્કૃત સંવર્ધન કેન્દ્રની સ્થાપના કરી છે. ગુજરાત જ નહીં દેશમાં ગુજરાત યુનિવર્સિટી સંસ્કૃત સેવા માટે અગ્રેસર રહી છે તેમાં શંકાને સ્થાન નથી.

Related posts

Leave a Comment