AAP 2022માં ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી લડશે

દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે જાહેરાત કરી છે. AAP 2022માં ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી લડશે. કેજરીવાલે કહ્યું છે કે, ઉત્તર પ્રદેશની જનતા ત્યાંની પાર્ટીઓથી હવે કંટાળી ગઈ છે અને હવે તેમને કોઈ અન્ય વિકલ્પની જરૂર છે.

કેજરીવાલે કહ્યું કે, દિલ્હીમાં અમને જનતાએ ત્રણ વખત મુખ્યમંત્રી બનાવ્યા. પંજાબમાં આમ આદમી પાર્ટી મુખ્ય વિપક્ષી પાર્ટી છે. ઉત્તર પ્રદેશનાં લોકો દિલ્હીમાં મોટી સંખ્યામાં રહે છે. તે લોકો અમારી પાસે આવીને આગ્રહ કરે છે કે, ઉત્તર પ્રદેશમાં પણ આમ આદમી પાર્ટીએ ચૂંટણી લડવી જોઈએ.

ઉત્તર પ્રદેશનાં લોકોને એજ્યુકેશન અને હેલ્થ માટે દિલ્હી સુધી કેમ દોડવું પડે છે? જો દિલ્હીની સરકારી હોસ્પિટલો સૌથી શ્રેષ્ઠ થઈ શકે છે, તો ઉત્તર પ્રદેશની કેમ નહી? દિલ્હીની સરકારી સ્કૂલ શ્રેષ્ઠ થઈ શકે છે, તો ઉત્તર પ્રદેશની કેમ ના થઈ શકે? ઉત્તર પ્રદેશમાં વીજળી બિલ કેમ ઓછુ ના થઈ શકે?

કેજરીવાલે વધુમાં કહ્યું કે, ઉત્તર પ્રદેશની ભ્રષ્ટ રાજનીતિનાં કારણે ત્યાં વિકાસ નથી થઈ શકતો. આમ આદમી પાર્ટી ઉત્તર પ્રદેશમાં સાચા ઈરાદા સાથે કામ કરશે. સરકાર પાસે પૈસાની કોઈ કમી નથી હોતી, પરંતુ ઈમાનદારીની કમી હોય છે.

દિલ્હીનાં લોકોને પ્રામાણિક સરકાર, શ્રેષ્ઠ સ્વાસ્થ્ય સુવિધા અને બાળકો માટે શ્રેષ્ઠ શિક્ષણની જરૂર હતી. આથી જ દિલ્હીનાં લોકોએ સતત ત્રણ વખત આમ આદમી પાર્ટીની સરકારને ચૂંટી છે. આવું એટલા માટે થયું, કારણ કે દિલ્હીનાં લોકોએ પ્રથમ વખત કામ થતું જોયું છે. આજે દરેક યુપી વાસી પણ પ્રામાણિક સરકાર ઈચ્છે છે, જે માત્ર આમ આદમી પાર્ટી જ આપી શકે છે. આથી જ AAP 2022ની વિધાનસભા ચૂંટણી લડશે.

Related posts

Leave a Comment